રાજનીતિ-મિ.રિપોર્ટર, ૧૯મી એપ્રિલ
દેશમાં લોકસભાની ચુંટણીનો માહોલ છવાયેલો છે, ત્યાં કોંગ્રેસની જાણીતી પ્રવક્તા પ્રિયંકા ચતુર્વેદીએ અચાનક જ પોતાની પાર્ટીના નેતાઓની હરકત અને મહિલા વિરોધી નિવેદનોની ત્રસ્ત થઈને કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે, હવે કોંગ્રેસમાંથી મુક્ત થઈને તરત જ પ્રિયંકા ચતુર્વેદી શિવસેનામાં જોડાઈ ગઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પ્રિયંકા ચતુર્વેદીએ પોતાનું રાજીનામું રાહુલ ગાંધીને મોકલ્યુ છે. ત્યારબાદ તેણે તેમના ટ્વિટર અકાઉન્ટ પર કોંગ્રેસ પ્રવક્તાવાળી લાઈન હટાવી લીધી છે.
જાણો કોણ છે પ્રિયંકા ચતુર્વેદી અને કેવી રહી છે અત્યાર સુધીની તેની રાજકીય સફર…..
પ્રિયંકા ચતુર્વેદીનો જન્મ મુંબઈમાં થયો હતો. તેણે પ્રાથમિક શિક્ષણ મુંબઈમાં જુહુના સેન્ટ જોસફ હાઈસ્કુલમાં લીધુ છે. તે બાદ મુંબઈની નરસી મોન્જી કોલેજ ઓફ કોમર્સ એન્ડ ઈકોનોમિક્સમાં સ્નાતક થઇ હતી. પ્રિયંકાએ તેમના કરીયરની શરૂઆત મીડિયા PR અને ઈવેન્ટ મેનેજમેન્ટ કંપની એમપાવર કન્સલ્ટન્ટમાં ડાયરેક્ટર તરીકે કરી હતી. તે પ્રયાસ ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી છે. જે 2 સ્કુલ ચલાવે છે. પ્રિયંકાના રાજકીય કારર્કિદીની શરૂઆત 2010માં થઈ હતી. જ્યારે તે કોંગ્રેસમાં જોડાઈ હતી. 2012માં તેને ઉત્તર પશ્ચિમ મુંબઈમાં ભારતીય યુવા કોંગ્રેસના જનરલ સેક્રેટરીનું પદ આપવામાં આવ્યું હતું. પ્રિયંકા ચર્તુવેદી સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. તે ટ્વિટર પર કોંગ્રેસની નીતિઓનો બચાવ કરવા માટે જાણીતા છે.
તે કારણે કોંગ્રેસ પાર્ટીએ 2013માં તેને રાષ્ટ્રીય પ્રવક્તા બનાવી હતી. તે ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મોટી વિરોધી ગણાય છે. 2016માં ટોપ 10 ભારતીય મહિલા નેતાઓની લિસ્ટમાં પણ સામેલ હતા. જોકે તે ભાજપની જ સહયોગી શિવસેનામાં જોડાઈ ગઈ છે.