વડોદરા- મી.રીપોર્ટર, ૮મી ફેબ્રુઆરી.
વડોદરા શહેરમાં સામાજિક વનીકરણ વિભાગ દ્વારા વડોદરા શહેરના મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી અને શહેરના તળાવોમાં વસવાટ કરતા મગરોની ગણતરી શરૂ કરવામાં આવી છે. અત્રે ઉલ્લેનીય છે કે, શહેરમાં પાંચ વર્ષ પહેલા કરવામાં આવેલી ગણતરીમાં મગરોની સંખ્યા 370 હતી. જોકે આ વખતે મગરોની સંખ્યા વધે તેવી શક્યતા જોવાઈ રહી છે.
વડોદરા શહેરના રાવપુરા ખાતે આવેલી નાયબ વન વિભાગની કચેરીના સામાજિક વનીકરણ વિભાગ દ્વારા વિવિધ જીવદયા સંસ્થાઓની મદદ લઇને પાંચ વર્ષે વિશ્વામિત્રી નદી અને વડોદરા શહેરના તળાવોમાં વસવાટ કરતા મગરોની ગણતરી કરવામાં આવે છે. આ વખતે વન વિભાગ અને જીવદયા સંસ્થાઓ મળી 22 ટીમો દ્વારા મગરોની વસ્તી ગણતરી હાથ ધરવામાં આવી છે.

સામાજિક વનીકરણ વિભાગ દ્વારા આજે વેમાલી હાઇવેથી સિદ્ધાર્થ બંગલો, સમા બ્રિજથી વુડા સર્કલ, રાત્રી બજારથી નરહરી હોસ્પિટલ, નરહરી હોસ્પિટલથી કાલાઘોડા બ્રિજ, કાલાઘોડા બ્રિજથી અકોટા બ્રિજ, અકોટા બ્રિજથી મુજમહુડા બ્રિજ, મુજમહુડા બ્રિજથી વડસર બ્રિજ, વડસર બ્રિજથી કલાલી, અને કલાલીથી તલસટ સુધીની વિશ્વામિત્રી નદીમાં વસવાટ કરતા મગરોની ગણતરી કરવામાં આવી હતી. આ ઉપરાંત કાશી વિશ્વનાથ તળાવ, લાલબાગ તળાવ, માંજલપુર તળાવ, કલાલી તળાવ, માણેજા તળાવ, તલસટ અને રાજસ્થંભ પાસેના તળાવ, છાણી તળાવ, દુમાડ તળાવ, વેમાલી તળાવ, દેના તળાવ, હરણી, સમા, વાસણા, ભાયલી અને તાંદલજા તળાવમાં વસવાટ કરતા મગરોની ગણતરી કરવામાં આવી હતી.