વડોદરા, ક્રાઈમ-મિ.રિપોર્ટર, ૯મી માર્ચ
શહેરના દંપતિને માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપનાર માથાભારે ખંડણીખોર ટોળકીના સુત્રધારની વડોદરા પોલીસે ધરપકડ કરી હતી. વડોદરા પોલીસે માથાભારે નો આતંક લોકોમાંથી દુર કરવા માટે તેના જ વિસ્તારમાં વરઘોડો કાઢ્યો હતો. એટલું જ નહિ પણ વિસ્તારના વેપારીઓની જાહેરમાં કાનપટ્ટી પકડીને માફી વિડીયો ઉતાર્યો હતો. આ વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે.
પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ, શહેરના નવાબજારમાં રહેતા મયંક અતુલભાઇ ટેલરની કલામંદિરના ખાંચામાં શિવમ ટાયર નામની પંકચરની દુકાન આવેલી છે. શુક્રવારે રાત્રે તેઓ તથા તેમના પત્ની દુકાન ઉપર હતા. તે સમયે મંગળબજારમાં વંસુધરા એપાર્ટમેન્ટમાં રહેતા ખંડણીખોર માથાભારે પંડ્યા બંધુ સમિર ઉર્ફ બંટી અશોક પંડ્યા, ચિરાગ અશોક પંડ્યા તથા તેના ત્રણ સાગરીતો મારક હથિયારો સાથે ધસી ગયા હતા. જુની અદાવતમાં મંયકભાઇ ટેલર અને તેમની પત્નીને તેઓનીજ દુકાનમાં પૂરીને માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી ફરાર થઇ ગયા હતા.
પંડ્યા બંધુઓ પર અનેક ગુના નોધાયા છે
ગુનાહિત ઇતિહાસ ધરાવતા પંડ્યા બંધુ સમિર ઉર્ફ બંટી અને ચિરાગ સામે મંગળબજારમાં વેપારીઓને ધમકીઓ આપી ખંડણી માંગવાના અનેક ગુનાઓ નોંધાયેલા છે. આ ઉપરાંત ખંડણી ન આપનાર વેપારીઓને મારમારી તેઓની દુકાનોમાં તોડફોડ કરવાના પણ ગુનાઓ નોંધાયેલા છે. શુક્રવારે રાત્રે તેઓ સામે પંકચરની દુકાન ધરાવતા મયંકભાઇ ટેલરે કારેલીબાગ પોલીસ મથકમાં વધુ એક ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગણતરીના કલાકોમાં ટોળકીના સુત્રધાર ચિરાગ પંડ્યાની ધરપકડ કરી લીધી હતી.
વેપારીઓમાંથી ખોફ દુર કરવા માટે ખંડણીખોર ટોળકીના સુત્રધારનો વરઘોડો કાઢ્યો
કારેલીબાગ પોલીસે આજે માથાભારે ખંડણીખોર ટોળકીના સુત્રધાર ચિરાગ પંડ્યા જે મંગળબજારમાં વેપારીઓ પાસેથી ખંડણી માંગતો તેજ મંગળબજારમાં તેનો વરઘોડો કાઢ્યો હતો. પોલીસે ચિરાગને મંગળબજારમાં બેકાન પકડી, બે હાથજોડીને વેપારીઓની માફી મંગાવી હતી. પોલીસે ચિરાગના કાઢેલા વરઘોડાને જોવા લોકોના ટોળા ભેગા થઇ ગયા હતા. પોલીસ દ્વારા ચિરાગ પંડ્યાનો આજે કાઢવામાં આવેલા વરઘોડાનો વિડીયો વાયરલ થયો હતો.