વડોદરા-મિ.રિપોર્ટર, ૨૯મી માર્ચ
શહેરના દીવાળીપુરા વિસ્તારમાં આવેલ નિધી પાર્ક સોસાયટીમાં આજે સવારે ભંગાર ભરેલા બે માળના મકાનમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આગના બનાવમાં અનેક વાહનો બળીને ખાક થઇ ગયા હતા.
પ્રાપ્ત વિગતો મુજબ, નિધી પાર્ક સોસાયટીના રહીશોએ જણાવ્યું હતું કે, આજે ભંગારના મકાનમાં લાગેલી આગને કારણે અમારા મકાનોને નુકશાન પહોંચ્યું છે અને વ્હિકલો બળી ગયા છે. તો બીજીબાજુ ફાયર બ્રિગેડે જણાવ્યું હતું કે, નિધી પાર્કમાં એક મકાનમાં આગ લાગી હોવાની જાણ સ્થાનિક મોહિતભાઇ ચાવડાએ કરતા વડીવાડી, દાંડિયા બજાર અને મકરપુરા જીઆઇડીસીની ફાયર બ્રિગેડની ટીમો સ્થળ પર પહોંચી ગઇ હતી. સાત ટેન્કરો દ્વારા પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. માત્રને માત્ર ભંગાર ભરેલા બે માળના મકાનમાં લાગેલી આગની લપેટમાં બાજુમાં આવેલ આજુ-બાજુના મકાનોને નુકશાન થયું છે. તેમજ મકાનોની આગળ મૂકેલા પાંચ જેટલા ટુ-વ્હિલરો બળીને ખાક થઇ ગયા હતા. ભંગાર ભરેલા મકાનમાં લાગેલી આગના પગલે સોસાયટીમાં અફડા તફડી મચી ગઇ હતી. સોસાયટીના રહીશોએ મકાનમાં ભંગાર ભરનાર મકાન માલિક ગીરીશ શાહ સામે ભારે રોષ ઠાલવ્યો હતો.