બોલીવુડ- મિ.રિપોર્ટર, ૪થી એપ્રિલ
‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના ફેન્સ અને ખાસ કરીને ‘દયાબેન’ ઉર્ફે દિશા વાકાણી ના ચાહકો માટે ખુબ જ દુઃખના સમાચાર છે. છેલ્લાં કેટલાય દિવસોથી શો માં દિશા વાકાણી પરત ફરશે તેવી વાતો ચાલતી હતી. જોકે હવે તે સસ્પેન્સ પરથી પરદો ઉઠી ગયો છે. દયાબેન એટલે કે એક્ટ્રેસ દિશા વાકાણી શોમાં પરત આવશે કે નહિ, હવે તે કન્ફર્મ થઈ ગયું છે કે દિશા સીરિયલમાં નહીં જોવા મળે. સીરિયલના મેકર્સ હવે રાહ જોવાના મૂડમાં નથી. પ્રોડ્યુસર આસિત મોદીએ કહ્યું કે, નવા દયાબેનની શોધ શરૂ કરી દેવાઈ છે.
તાજેતરમાં જ દયાબહેનના શો માં પરત આવવા અંગે એક અખબારને આપેલા ઈન્ટરવ્યૂમાં આસિત કુમાર મોદીએ કહ્યું, કોઈ પણ વ્યક્તિ શોથી મોટો ન હોઈ શકે. અમારે નવા દયાબેનની શોધ શરૂ કરવી પડશે. ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ નવા ચહેરા સાથે આગળ વધશે કારણકે દયાબેનના પાત્ર વિના શોની ફેમિલી અધૂરી છે. મારી ટીમે દિશા વાકાણી પરત આવે તે માટે ઘણી રાહ જોઈ હતી. પરંતુ અમને તેમાં નિરાશા જ સાપડી છે.
આસિત મોદીએ વધુમાં જણાવ્યું કે, આ દેશમાં ઘણી વર્કિંગ વુમન છે જે પ્રેગ્નેન્ટ થાય છે અને મેટરનિટી બ્રેક પર જાય છે. બાળકનો જન્મ થાય છે અને કામ પરત આવી જાય છે. અમે દિશાને રજા આપી પરંતુ કાયમ માટે તેની રાહ તો ન જોઈ શકીએ ને. કોઈ એક્ટ્રેસને રાતોરાત રિપ્લેસ નથી કરી શકાતી. મહિના પહેલા વાર્તાનો ટ્રેક એડવાન્સમાં તૈયાર કરીને જ રોલને આગળ વધારવામાં આવે છે. દયાબેનના રોલ માટે ઓડિશન પ્રારંભિક તબક્કામાં છે. ભવિષ્યમાં શું થશે તે વિશે ચોક્કસ ન જણાવી શકું. પરંતુ શો આગળ વધશે તે નક્કી છે.”