મુંબઈ, ૧૧મી નવેમ્બર.
હવે જો કોઈ પુરુષને ‘નામર્દ’ કહ્યું છે તો જવું પડશે જેલ. કોઈપણ પુરુષને ‘નામર્દ’ કહેવું એ માનહાનિના દાવા અંતર્ગત આવે છે, એટલે જો કોઈ વ્યક્તિ ‘નામર્દ’ કહીને કોઈ પુરુષને બોલાવે તો તે વ્યક્તિને જેલની સજા અને સાથે દંડ પણ ચૂકવવો પડી શકે છે એમ બોમ્બે હાઈકોર્ટની નાગપુર બેન્ચે તેમના એક નિર્ણયમાં કહ્યું છે.
નપુંસક શબ્દના તાર્કિક અથવા તો વ્યાકરણ સંબંધિત અર્થને સમજીએ તો આ શબ્દ કોઈપણ પુરુષના પુરુષત્ત્વ પર પ્રતિકૂળ અસર કરે છે, સાથે જ બીજાઓ તરફથી તે પુરુષને અપમાનિત કરનાર વિચારને આમંત્રિત કરવાની પ્રવૃત્તિ તેમાં જોવા મળે છે એમ કોર્ટે વધુમાં પોતાના ચુકાદામાં જણાવ્યું હતું.
કાયદાની કલમ 499 હેઠળ જો ‘નામર્દ’ જેવા શબ્દોનો પ્રયોગ અને સાથે તે શબ્દનું પ્રકાશન બંને જે-તે વ્યક્તિની માનહાનિના અંતર્ગત આવે છે. જ્યારે આઈપીસીની કલમ 500 હેઠળ આ પ્રકારના ‘નામર્દ’ જેવા શબ્દનો પ્રયોગ કરનાર પર પણ સજાનો કાયદો ઘડવામાં આવ્યો છે.