ગાંધીનગર, ૧૯મી નવેમ્બર.
મહારાષ્ટ્ર સરકારે મરાઠાઓને અનામતની લ્હાણી કર્યા બાદ ગુજરાતમાં પ્રબળ બનેલી અનામતની લડત મુદ્દે મુખ્યમંત્રી વિજય રુપાણીએ સકારાત્મક સંકેત આપ્યો છે. રુપાણીએ કહ્યું કે ગુજરાત સરકાર મહારાષ્ટ્ર સરકારે મરાઠાઓને આપેલી અનામતના બિલ- રિપોર્ટનો અભ્યાસ કરશે. રીપોર્ટ બાદ તે આપવા અંગે વિચાર કરાશે. અત્રે ઉલ્લેખનીય છે કે, દેવેન્દ્ર ફડણવીસ સરકારે મોટું મરાઠા અનામત અંગે મોટું પગલું ભર્યા પછી કેબિનેટમાં મરાઠા અનામત બિલને મંજૂરી મળી ગઈ છે.
રાજ્યમાં હાર્દિક પટેલ દ્વારા પાટીદાર અનામત મુદ્દે આંદોલન કર્યા બાદ ગુજરાત સરકારને સવર્ણોને અનામત આપવા મામલે દબાણ કરવામાં આવી રહ્યું છે. રાજ્ય સરકાર દ્વારા અનામત આપવા મામલે જુદી-જુદી વાતો કરાઈ જોકે, સ્પષ્ટ રીતે અનામત મળે તે અંગેનું કોઈ માળખું તૈયાર થયું નથી. હવે જ્યારે મહારાષ્ટ્રમાં ફડણવીસ સરકારની વાહ-વાહી થઈ રહી છે ત્યારે રાજ્ય સરકારે પણ સકારાત્મક સંકેત આપ્યો છે.
રાજ્યના મુખ્યમંત્રી વિજય રુપાણીએ મહારાષ્ટ્રમાં મરાઠાઓના અનામત બિલને મંજૂરી બાદ જણાવ્યું કે, ગુજરાતમાં પણ અનામત આપી શકાય તે માટે મહારાષ્ટ્ર સરકાર પાસેથી રિપોર્ટ મંગાવીને તેનો અભ્યાસ કરવામાં આવશે. તેમણે વધુમાં કહ્યું કે, આ રિપોર્ટના અભ્યાસ બાદ ગુજરાત સરકાર કોઈ નિર્ણય કરશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારે આ મામલે ચર્ચા કરવા માટે સરકારે મંગળવારે મહત્વની બેઠક પણ બોલાવી છે. આ બેઠક પર હાર્દિક પટેલ સહિત અનામતની માગણી કરતા લોકોની સાથે પ્રજાની નજર રહેશે.