વડોદરા, ૨૫મી જાન્યુઆરી
દેશમાં વર્ષ ૨૦૧૯માં યોજાનારી લોકસભાની ચૂંટણી નરેન્દ્ર મોદીના પાંચ વર્ષમાં ગરીબ, એસ.સી., એસ.ટી. મહિલાઓ અને યુવાઓના વિકાસ અને અવસરવાદી અને સત્તાના સ્વાર્થી નેતાઓ વચ્ચે હશે. જનતાનો મોદી પ્રત્યેનો પ્રેમ જોઇને કહુ છું કે, અમારી સરકાર ફરીથી બનશે એમ એમ.એસ.યુનિવર્સીટીના સી.સી.મહેતા ઓડિટોરિયમ ખાતે શરૂ થયેલા ત્રણ દિવસના યુંગાતર કાર્યક્રમના ઉદ્ઘાટન પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેલા ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ રામ માધવે જણાવ્યું હતું.
” યુંગાતર ” ના ઉદ્ઘાટન કાર્યક્રમમાં પોતાનું વક્તવ્ય આપ્યા બાદ પત્રકારો સાથેની વાતચીતમાં પ્રિયંકા ગાંધીના રાજનિતીમાં પ્રવેશ અંગે રામ માધવે જણાવ્યું હતું કે, પ્રિયંકાની રાજનિતીમાં એન્ટ્રી ફક્ત ફોર્માલિટી છે. ઉત્તરપ્રદેશની પહેલા પ્રિયંકા અનેક ચૂંટણીઓમાં કેમ્પેઇન કરી ચૂકી છે. પ્રિયંકા વર્ષોથી રાજનિતીમાં સક્રિય છે. અને તેઓ રાજનિતીમાં શુ કરી શક્યા તે દેશની જનતા જોઇ ચૂકી છે.
તેમણે મમતા બેનર્જી અંગે વાત કરતા જણાવ્યું હતું કે, અમે કોઇના પર ગુસ્સે નથી, મમતા બેનરજી અમારા પર ગુસ્સે છે. અમને નોર્મલ પોલિટીકલ એક્ટિવીટી કરતા મમત બેનરજી રોકવાનો પ્રયાસ કરે છે. અને અમે જે રેલીઓ કરીએ છીએ, તેમાં જનતાનું ભરપુર સમર્થન મળે છે. તે જોઇને મમતા બેનર્જી વધુ ભડકે છે. તેઓ અમારી રેલીઓ રોકવાનો પૂરો પ્રયત્ન કરે છે. અમને વિશ્વાસ છે કે, પશ્ચિમ બંગાળમાં મતતા બેનર્જીની વિરૂદ્ધમાં લોકો અમને સમર્થન આપશે.
જમ્મુ કાશ્મીરમાં સરકાર છોડ્યા બાદ ઉભી થયેલી પરીસ્થિતિ અંગે રામ માધવે જણાવ્યું હતું કે, જમ્મુ કાશ્મીરમાં અમને ખુબ સફળતા મળી છે. જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદથી મુક્તિ મળી રહી છે અને વિકાસ પણ થઇ રહ્યો છે. પીડીપી અમારી સાથે હતું, ત્યારે કોઇ વિરોધ તેઓએ નહોતો કર્યો પરંતુ અલગ થયા પછી અમારો વિરોધ કરે છે.