અમદાવાદ-મિ.રિપોર્ટર, ૨૯મી માર્ચ.
પાસના નેતા તરીકે જાણીતા બનેલા હાર્દિક પટેલ જ્યારથી કોંગ્રેસમાં જોડાયો છે, ત્યારથી તેના પર મહાદશા ચાલુ થઇ હોય તેવું લાગે છે. છેલ્લા એક મહિનાનો ઘટનાક્રમ તો તે જ હકીકત તરફ ઈશારો કરે છે. પહેલા પાસના કાર્યકતાઓ એકબીજા સાથે તેની હાજરીમાં જ લડ્યા, તે બાદ અમદાવાદના પરિમલ ગાર્ડનમાં લોકોએ તેનો હુરિયો બોલાવ્યો હોવાની ઘટના સામે આવી. આટલું ઓછુ હોય તેમ હવે તેનું લોકસભાની ચુંટણી લડી લેવાનું સ્વપ્ન પણ રોળાઈ ગયું છે. હાઇકોર્ટે હાર્દિક પટેલની સજા પર સ્ટે મૂકવાની અરજી ફગાવી દીધી છે. જેના કારણે હાર્દિક પટેલ હવે ચૂંટણી લડી શકશે નહીં .
પ્રાપ્ત વિગત પ્રમાણે, હાર્દિક પટેલને લોકસભાની ચૂંટણી લડવા માટે મંજૂરી મેળવવાના મામલે હાઇકોર્ટમાં જસ્ટિસ એ જી ઉરેજીની કોર્ટમાં સુનાવણી પ્રક્રિયા ચાલી રહી છે. જે દરમિયાન રાજ્ય સરકાર તરફથી કરવામાં આવેલી દલીલોમાં કહેવામાં આવ્યું કે હાર્દિક સામે રાજદ્રોહ સહિતના કેસો નોંધાયેલા છે. કોર્ટને આપેલી બાંહેધરી બાદ પણ હાર્દિક વિરુદ્ધ 17 FRI નોંધાઇ છે. તેનો ગુનાહિત ઇતિહાસ છે. દર વખતે હાર્દિક ભડકાઉ ભાષણ કરે છે.આ પહેલા રાજ્ય સરકારે કોર્ટમાં સોગંધનામું રજૂ કર્યું હતું જેમાં જણાવાયું કે અમદાવાદમાં તોફાન અંગેના કેસમાં હાર્દિક પટેલના કેટલાક ફોટોગ્રાફ્ટ તે દિવસે બનાવ સ્થળે તેની હાજરી સ્પષ્ટ બતાવે છે. આરોપી સામે ગંભીર ગુના છે. આરોપીને કેસની ટ્રાયલ સમયે હાજરીમાંથી મુક્તિ આપવામાં આવી હતી, જે નહોતી આપવી જોઇતી હતી. જો કે આ સોગંધનામા સામે હાર્દિક પટેલના વકીલે વાંધો ઉઠાવ્યો અને ધારદાર દલીલો કરી હતી.
બંને પક્ષોની દલીલ સાંભળ્યા બાદ હાઇકોર્ટે હાર્દિક પટેલની સજા પર સ્ટે મૂકવાની અરજી ફગાવી છે. જેમાં હાઇકોર્ટ દ્વારા અવલોકન કરવામાં આવ્યું કે હાર્દિકના વકીલની પુરાવા નહીં હોવાની વાત સ્વીકારી શકાય નહીં. હાઇકોર્ટે ઓર્ડરમાં નોંધ્યું કે હાર્દિક વિરુદ્ધ વિવિધ પોલીસ સ્ટેશનમાં અનેક ફરિયાદો નોંધવામાં આવી છે.