મિ. રિપોર્ટર, ૮મી જાન્યુઆરી.
કચ્છના પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત ભાજપમાં મોટું નામ ધરાવતા જયંતિ ભાનુશાળીની ચાલુ ટ્રેનમાં ગોળી મારીને હત્યા કરાઈછે. આ ઘટના સયાજીનગરી એક્સપ્રેસમાં રાત્રે ૧૨ થી ૧ ની વચ્ચે બની હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત ભાજપના ઉપાધ્યક્ષ પણ રહી ચૂકેલા જયંતિ ભાનુશાળી સામે ગયા વર્ષે બળાત્કારની ફરિયાદ નોંધાઈ હતી. રેપ કેસની ફરિયાદ બાદ એક વીડિયો ક્લિપ પણ સોશિયલ મીડિયામાં ફરતી થઈ હતી. જોકે, પાછળથી રેપ કેસમાં પીડિતા દ્વારા સમાધાન કરી લેવામાં આવ્યું હોવાની ઘટના પણ બની હતી.
જયંતિ ભાનુશાળી ટ્રેનમાં મુંબઈ તરફ જઈ રહ્યા હતા ત્યારે આ ઘટના બની છે. ટ્રેન શાર્પ શૂટર દ્વારા તેમની હત્યા કરાઈ હોવાની આશંકા છે. તેમને બે ગોળીઓ મારવામાં આવી હતી જેમાં એક આંખના ભાગે વાગી હતી, જ્યારે બીજી છાતીમાં વાગી હતી. હત્યાની ઘટના બાદ માળીયા-મીયાણા પાસે ટ્રેનને રોકી દેવામાં આવી હતી. અહીંથી તેમનો મૃતદેહ પોલીસે કબજે કરીને આગળની તપાસ શરુ કરી છે. તો બીજીબાજુ ચાલુ ટ્રેનમાં ભાનુશાળીની હત્યા બાદ પોલીસ દ્વારા આ કેસમાં ફોરેન્સિક તપાસ માટેની શરુઆત પણ કરી દીધી છે. મોડી રાત્રે બનેલી આ ઘટના સવાર પડતા જ વાયુવેગે ફેલાવા લાગી છે. આ ઘટનાથી રાજકારણમાં મોટા ભૂકંપ આપી શકે છે.