અમદાવાદ, મિ.રિપોર્ટર, ૨૯મી જાન્યુઆરી.
શહેરના વાસણા વિસ્તારમાં ઘરનું કામ કરવા આવેલી 13 વર્ષની છોકરી સાથે મકાન માલિકે બળાત્કાર ગુજાર્યો હોઈ છોકરીએ શંકાસ્પદ સંજોગોમાં આપઘાત કરી લીધો હતો, તેવો ચોકાવનારો ખુલાસો પોલીસે પોતાની પ્રાથમિક તપાસમાં કર્યો છે. સમગ્ર મામલે વાસણા પોલીસે ચિરાગ શાહની ધરપકડ કરી છ. તેના પર બળાત્કાર તેમજ સગીર વયની કિશોરીને આપઘાત કરવાની દુષ્પ્રેરણા આપવાનો આરોપ દાખલ કરવામાં આવ્યો છે.
વાસણાના નિલકંઠ ફ્લેટમાં રહેતા ૩૮ વર્ષીય ચિરાગ શાહના ઘરમાં એક મહિલા ઘરઘાટી તરીકે વર્ષોથી કામ કરતી હતી. જોકે, તે માંદી હોવાથી તેણે પોતાની 13 વર્ષની દીકરીને ચિરાગને ત્યાં કામ કરવા મોકલી હતી. રવિવારે ચિરાગ પણ ઘરે એકલો હતો, તે તકનો લાભ લઈને ચિરાગે છોકરી પર જબરજસ્તી કરી હતી. આ ઘટના પછી છોકરીએ આપઘાત કર્યો હોવાનું પોલીસનું માનવું છે. પ્રાથમિક દ્રષ્ટિએ ચિરાગ શાહે કિશોરી પર જબરજસ્તી કરી હોવાના પુરાવા મળી આવ્યા છે.
વાસણા પોલીસનું કહેવું છે કે, ચિરાગ શાહના ઘરમાં છોકરીનો મૃતદેહ અડધી લકટતી સ્થિતિમાં મળી આવ્યો હતો, મતલબ કે તેને કોઈએ ફાંસો નહોતો આપ્યો, પરંતુ તેણે જાતે જ ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. એફએસએલ દ્વારા આરોપી ચિરાગના વીર્યનું સેમ્પલ લેવાયું હોવાનું તેમજ મૃતકના વિસેરા સેમ્પલ લેવાયા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, છોકરીએ આપઘાત કરી લેતા ચિરાગ શાહે મૃતકની માતાને ફોન કરી તે બેભાન થઈ ગઈ હોવાનું જણાવી તેને લઈ જવા કહ્યું હતું. પીડિતાની માતા પોતાના સંબંધીઓને લઈ ચિરાગ શાહના ઘરે પહોંચી હતી, જ્યાં છોકરીના મામા તેને મૂર્છિત અવસ્થામાં ઘરની બહાર લઈને આવ્યા હતા, ત્યાંથી તેને જીવરાજ મહેતા હોસ્પિટલ લઈ જવાઈ હતી, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી પોલીસને આ અંગે જાણ કરી હતી. તો બીજીબાજુ પોલીસે શરુઆતમાં અકસ્માતે મોતનો ગુનો દાખલ કર્યો હતો. જોકે પીડિતાના પરિવારજનોએ હોબાળો કરી ચિરાગ શાહે તેના પર રેપ કર્યો હોવાના ગંભીર આક્ષેપ કરી લાશ સ્વીકારવાની ના પાડતા પોલીસને બળાત્કારની કલમ ઉમેરવાની ફરજ પડી હતી.